માઈક્રોફીકશન: પ..ણ..!!

લગભગ દર પંદર દિવસે કાળાં વસ્ત્રો પહેરેલી બે ચારણ સ્ત્રીઓ પાડોશ ના ઘરનાં બારણાં પાસે આવીને ઊભી રહેતી અને બોલવા લાગતી. એ બન્ને સ્ત્રીઓ ડર લાગે તેવી હતી. અને પોતે ઘરના બારણા વાસી દેતી.

ફરી આજે  એ સ્ત્રીઓ પોતાના ઘરના બારણા પાસે ઊભી રહી…કહેવા લાગી, “ ચાલ બેના, ખોડિયાર મા ના ઘઉં આપી દે….”

પોતે કઇ વિચારે ત્યાં બીજી સ્ત્રી બોલવા લાગી, “બારણે આવનારને આમ ઊભા ન રખાય, અને પાછા પણ ન 

વળાય… આ તો ખોડિયાર મા નું કામ છે.. દીકરી… મા તારા ભાઇને સો વર્ષનો કરે…!”

એને થયું, મા ખોડિયારે મને ભાઇ આપ્યો હોત તો… તો …હું તને…!

પ..ણ…!

– નયનેશ વોરા

માઈક્રોફીક્શન – મોંઘવારી

સુમનરાય સવારના પહોરમાં છાપું વાંચી રહ્યા હતા, અચાનક એક સમાચાર પર નજર પડતા ચહેરા પરના હાવભાવ બદલાઇ ગયા. ખુશી છવાઈ ગઈ ચહેરા પર…પત્નીના નામની બૂમ પાડી. પત્નીને કહી રહયા હતા, “સાંભળ્યું? ચાર ટકા મોંઘવારી ભથ્થું વધ્યું. વધારો પણ મળશે.” સુમનરાયે છાપા નું પાનું ફેરવ્યું. પત્નીના ચહેરા પર પણ રાજીપો હતો. સુમનરાય ચા પીવા લાગ્યા અને વધારો કેટલો મળશે તેની ગણત્રી કરવા લાગ્યા, મનોમન…

ઘરકામ કરતા શંકરે સાવરણી હાથમાં લેતા જ જાહેરાત કરી – “આ મહીના થી એક કામના સો રૂપિયા વધાર્યા છે. તમારા બે કામ ના બસો વધશે!”

સુમનરાય કંટાણું મોઢું કરીને જોતા રહી ગયા.

નયનેશ વોરા, 22.07.2020

લઘુ વાર્તા: રીકનસીલિએશન

રાત્રી ના દસ‌ થવા આવ્યા હતા. ઓફિસની આવતાં મોડું થયું હતું. ઘરમા પ્રવેશતાં જ પત્નીએ પૂછ્યું હતું, ” આજે બહુજ મોડું થયું, નહીં ?” થાકેલા અવાજમાં તેણે જવાબ આપ્યો હતો,” કાલે હિસાબોના રીકનસીલિએશન – મેળવણા માટે હેડ ઓફિસ જવાનું છે.”

ઓફિસમાં સ્ટાફ દ્વારા તૈયાર કરાયેલા પત્રકો તપાસી, ગોઠવીને, નીચે હિસાબી અધિકારી ના સિક્કા પર પોતે સહી કરીને એટેચી માં મુકી દીધા હતા. સવારે વહેલી બસ પકડવાની હતી.

***

રીકનસીલીએશન નુ કામ પતાવીને એ ફરી ઘરે આવ્યા. હિસાબો બરાબર હતા તેવું પ્રમાણપત્ર હેડ ઓફિસે આપ્યું હતું. અધિકારીઓ પણ તેના કામથી ખુશ હતા. એકાઉન્ટ મેટર મા પોતાની માસટરી હતી. પણ ક્યારેય  અભિવ્યક્ત કરતા ન હતા.

***

ઘેર આવતાં જ પત્ની એ ટપાલમાં આવેલું કવર આપેલું. મિત્ર નો પત્ર હતો… લખ્યું હતું, ” તમે ઉછીના લીધેલા પૈસા પેટે બાકીના પચાસ હજાર ચૂકતે કરશોજી્.”

હવે આ રકમનો ક્યાં થી જોગ કરવો તેના ચકરાવે પોતે ચડી ગયા હતા, અને મોડે સુધી પડખાં ફેરવતા રહયા.

લઘુ વાર્તા: સમય ક્યાં થી લાવવો?

16843443566_b1736a0364_z

“કોમ્યુનિટી હોલ, જીમ, જકુઝી અને સ્વિમિંગ પૂલ
ની સવલતો થી સજ્જ સોસાયટી માં મોંઘોદાટ ફ્લેટ
લોન લઇ ને ખરીદ્યા  પછી તેને વિચાર આવ્યો,
“લોન તો મળી ગઈ, પણ હવે
આ સવલતો ભોગવવા માટે નો સમય ક્યાં થી લાવવો?”

પ્રવાસો ભીતરના..

માણસ અમથે અમથું ફર્યા કરે
એટલેજ કહેવાય છે કે ફરે તે ચરે।

પ્રવાસો ભીતરના અને બહારના એ
ક્યાં પહોંચવું તે હરદમ વિસ્મરે।

શું જોયું ભલું કે જાણ્યું ભલું પૂછે
હરદમ કોઈ નવી દિશા વિસ્તરે।

જિંદગી જ તો છે એક પ્રવાસ માનો
આવ્યા અને જશું જાણે સિતારા ખરે।

મોતી શોધવા દરિયે ડૂબકી મારે
શ્વાસ ખૂટે ને જળસપાટીએ તરે।

– નયનેશ વોરા, લખ્યા તા. 16 એપ્રીલ 2015, ચંડીગઢ

સર્જનાત્મક હોવું એટલે શું?

માણસ ને કંઇક નવું કરવાની પ્રેરણા ક્યારે અને કેવી રીતે મળતી હશે? કંઈ પણ કરવાની, કે ન કરવાની, પ્રેરણા આપણને કોણ આપતું હશે? એવું તો શું થતું હશે કે માણસ કંઇક નવું કરવા માટે એટલો પ્રેરાય કે એના શરીર, મન અને હૃદય માં કોઈ નવી જ શક્તિ નો સંચાર થાય?

અંગ્રેજી માં જેને લોકો “muse” અથવા “grace” કહે છે એ પ્રેરણા એક એવી ઉર્જા શક્તિ છે જે માણસ ને સર્જનાત્મક બનાવે છે – જેના વગર કઈ પણ નોખું અનોખું કરી નથી શકાતું.

ઘણા સિદ્ધ સર્જકો ને નવું સર્જન કર્યા પછી એવી અનુભૂતિ થઇ છે કે તેમણે કશું જ નથી સર્જ્યું – એ તો બસ એમના દ્વારા સર્જાઈ ગયું. તેઓ નિમિત્ત માત્ર હતા, ફક્ત એ રચના માટે પ્રગટ થવા નું માધ્યમ હતા. શું આ સાચું હશે?

તમે નાના બાળકો ને જોયા છે? તેમણે કઈ પણ આપો તો તેઓ પોતાનો આનંદ એમાં થી શોધી લેતા હોય છે. તેઓ કૃતુહલ થી ભરપુર હોય છે અને જાત જાત ના પ્રયોગો કરતા જ રહે છે જેમાંથી તેઓ શીખે પણ છે. માણસ જન્મે ત્યાર થી જ curious હોય છે અને આ જ કૃતુહલ ને ભણતર પછી પણ ટકાવી રાખવું એ સર્જનાત્મકતા ની પહેલી જરૂરિયાત છે.

અમેરિકા ના બહુજ પ્રખ્યાત નવલકથાકાર અને લેખક સ્ટીવન પ્રેસ્ફીલડ તો ત્યાં સુધી કહે છે પ્રેરણા એક સુંદર અને રૂપાળી સ્ત્રી છે જેનું કામ લોકો ને નવા વિચારો આપવાનું છે. પ્રેરણા નામ ની આ સ્ત્રી દરરોજ એક નિયત સમયે તમારી આસ પાસ પોતાના અદ્રશ્ય વિમાન માં ચક્કર મારે છે અને જુએ છે કે તમે સર્જન કરવા માટે કેટલા તૈયાર અને આતુર છો. નથી? તો કાલે ફરી એ તમારી પાસે આવશે. ત્યારે જો તમે તૈયાર અને આતુર હશો તો પ્રેરણા તમને કંઇક નવું સુચવશે, કોઈ નવા વિચાર ની ભેટ તમને આપી જશે. કંઇક નવું કરવા માટે હમેશા તૈયાર અને તત્પર રહેવું એક સર્જક ની સાચી ઓળખ છે.

સ્કુલ અને કોલેજ માં અપાતું ભણતર ખરેખર શું કરે છે? તે આપણી આસપાસ એક એવું અદ્રશ્ય વર્તુળ બનાવે છે જેની બાહર નથી તો આપણે જઈ શકતા કે નથી એની બાહર વિચારી શકતા. સાચી સર્જનાત્મકતા આ વર્તુળ ની વચ્ચે રહી ને નહિ પણ એની સીમા પર રહી ને ખીલે છે. જ્યાં આ વર્તુળ ની સીમા પૂરી થાય છે ત્યાં થી જ સર્જનાત્મકતા નો પ્રદેશ શરુ થાય છે. શું આનો મતલબ એવો કે ભણતર જરૂરી નથી? બિલકુલ નહિ. ભણતર દ્વારા આપણે જે શીખીએ છીએ એજ આપણી સાચી શક્તિ છે. સાચું જ્ઞાન તો માણસ ને નવું વિચારવા ની અને કરવાની શક્તિ આપે છે. જો આપણું જ્ઞાન આપણને સીમિત રાખે તો એમાં વાંક ભણતર નો કે જ્ઞાન નો નહિ, આપણી વિચારશક્તિ નો છે!

ઔદ્યોગિક જગત માં મશીન કામ કરતા અને માણસો મશીન નું ધ્યાન રાખતા, પણ હવે આપણે જ્ઞાન વિશ્વ ના રહેવાસીઓ છીએ. એક એવું વિશ્વ જ્યાં ઈન્ટરનેટ તમને માહિતી તમારા હાથ માં આપે છે. આ વિશ્વ માં જ્ઞાન હોવું એ મહત્વ નું નથી પણ એ જ્ઞાન નો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ વધારે મહત્વ નું છે.

તમે જ કહો – શું આપણી સર્જનાત્મકતા ને વિકસાવ્યા આવું કરવું શક્ય ખરું?

નેટવર્ક નું નેટવર્થ

અત્યાર નો સમય નેટવર્ક અને નેટવર્થ નો છે. નેટવર્થ એટલે પૈસા, મૂલ્ય નહીં. પૈસા નો સૌને લોભ છે અને ઘણા લોકો પૈસા માટે પોતાનું ઈમાન અને ધર્મ ને પણ ભ્રષ્ટ કરતા હોય છે. નીતિ થી પૈસો કમાવો એ ધર્મ હોય શકે, એ વાત માનવા ઘણા લોકો તૈયાર નથી હોતા.

ઈન્ટરનેટ અને મોબાઈલ ના જમાના માં નેટવર્ક નો વ્યાપ વધ્યો છે – એટલો કે નેટવર્ક નો પ્રશ્ન ક્યારેક જ નડતો હોય છે. રસ્તા પર કાર માં કે બાઈક પર કાન નીચે મોબાઈલ દાબીને લોકો વાતો કરતા હોય છે. સંબંધો નું નેટવર્ક પણ આવું જ હોય છે, પણ અહીં ઘણી વખત નેટવર્ક નો પ્રશ્ન થતો હોય છે. જ્યાં આપણે દિલ ખોલી અને મુક્ત મને વાતચીત કરવી હોય ત્યાં વાત નથી થતી અને નેટવર્ક મળતું નથી. નેટવર્ક મળવા માટે દિલ ના ટાવર માં એકમેક ના સ્પંદનો ઝિલાય એ મહત્વ નું હોય છે. બાકી બધુજ વ્યર્થ હોય છે. કદાચ એટલેજ આપણે મોબાઈલ ને સ્વીચ-ઓફ રાખવા ની ફરજ પડતી હશે! નેટવર્ક ની આંતર ગૂંથણી ને કારણે ઘણી વાર લોકો સંબંધો ને પણ સ્વીચ-ઓફ કરી મુકતા હોય છે.

વ્યાપ્ત નેટવર્ક ની બીજી ભેટ એટલે સાઈબર-ક્રાઈમ. કહે છે ને કે પ્રગતિ ક્યારેક સારા તો ક્યારેક વધારે ખરાબ પરિણામો ની જનક હોય છે. આપણે એવા કિસ્સાઓ વિષે જાણીએ છીએ જેમાં અજાણ્યા સ્ત્રી અને પુરુષ ઈન્ટરનેટ દ્વારા સંબંધ બાંધે, પછી લગ્ન કરે. મોટા ભાગે આવા કિસ્સાઓ માં યુવતિ “નેટ” માં ફસાતી હોય છે.

હમણા જ મહાનગર નો કિસ્સો અખબાર માં વાંચ્યો ત્યારે લાગ્યું કે આ ગેજેટ્સ શું આપણને આવું શિખવાડી શકે? પોતાના પ્રિયતમ સાથે ઓનલાઈન વાતચીત કરતી વખતે લગ્ન વિષે મોટો ઝઘડો થતાં જ યુવતિ એ વેબ-કેમ ની સામે જ આત્મહત્યા કરી. સાઈબર સેલ કાર્યવાહી કરશે પણ આમાં પ્રેમ નું શું અને જિંદગી નું શું? ઉમંગ અને ઉત્સાહ થી જીવનસાથી સાથે જીવવા ના કોડ ને આવેગ ની અગન જ્વાળાઓ ભરખી ગઈ!

ઈન્ટરનેટ અને મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ સામે ઘણી વખત લાલબત્તી બતાવવા માં આવે છે. કાંતિ ભટ્ટ તો કહે છે કે આવા સાધનો માણસ ને સ્વ-કેન્દ્રી અને અતડા બનાવી દેતા હોય છે. સાધન માણસ નું ગુલામ બનવું જોઈએ, અહીં તો માણસ જ સાધનો નો ગુલામ બનતો જાય છે અને માઈગ્રેઇન અને ડીપ્રેશન નો ભોગ બનતો જણાય છે.

વિચારવું જરૂરી છે પણ ઉમંગ અને ઉત્સાહ થી જીવવું એ વધુ જરૂરી છે. આ માટે વિચારો ની સ્વીચ ક્યારે બંધ કરવી તે માણસ ના હાથ માં છે.  બહુ વિચારો પણ દુઃખી કરતા હોય છે.  તત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનિકો અને સર્જનશીલ લોકો ના જીવન માં હતાશા પણ હોય છે તો ક્યારેક કોમન મેન ગણાતા સીધા સાદા લોકો માનસિક રીતે ઉચ્ચ સ્તર પર જીવી અને જિંદગી ની ખરી મજા માણતા હોય છે.

આ માટે જરૂરી છે કે દરેક માણસે અઠવાડિએ ચોવીસ કલાક માટે બધા જ ગેજેટ્સ થી દુર રેહવું જોઈએ; જેથી એ સમય દરમ્યાન એ ખુદ ને રીચાર્જ કરી શકે – અને જીવન ની નાની ગણાતી મોટી મજાઓ, જેમ કે બાળક સાથે રમવું પરિવાર સાથે વાતચીત કરવી વાંચન કરવું વગેરે ને માણી શકે.

નસીમ નિકોલસ તાલેબ એ લખ્યું છે તેમ, “એક ‘ગુલામ’ અને એક ‘ટેકનોલોજી ના ગુલામ’ વચ્ચે એટલું જ અંતર છે કે સાચો ગુલામ સંપૂર્ણ રીતે જાણે છે કે તે આઝાદ નથી.”

– નયનેશ વોરા, લખ્યા તા: 07-જુલાઈ-2013

શાંત પળો માં – ગિજુભાઈ બધેકા

Image

ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વકીલી કાવાદાવા છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વેપાર ની ગડમથલ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર કાવ્ય-સંગીતને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ભાઈબંધ-મિત્રોને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર પ્રભુભજન ને પણ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર જીવન-સમગ્ર વીસરી જા
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ગડમથલિયા જગત ને ફેંકી દે
ને તારા બાળક સાથે રમ.
– – – – –

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા ની આ ઉત્તમ રચના જયારે મને ઓફીસ માં મિત્ર ચિંતન છાયા એ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ના bookmark સ્વરૂપે આપી ત્યારે બધું કામ પડતું મૂકી, ઘરે જઈ ને હસતા-રમતા મારા બાળકો ને મળવા નું મન થઇ આવ્યું.

માટી ને ચાકડા પર ચડાવવા થી ઘડો આપોઆપ નથી બની જતો. કુંભારે બાજુ માં બેસી ફરતા ચાખડા પર હાથે થી એ માટી ને ઘડી ને આકાર આપવો પડે છે. બાળક એની જાતે જ ઘડાઈ જશે એવું માનવું એ માં-બાપ તરીકે ની સૌથી મોટી ભૂલ ગણી શકાય.

માન્યું કે નોકરીઓ હવે અઘરી થઇ ગઈ છે અને સ્પર્ધાત્મક માહોલ માં આગળ રહેવા માટે સતત મેહનત કરવી પડે છે. મેં લોકો ને એવું કહેતા સાંભળ્યા છે, “આપણે આ બધી મહેનત કરી ને જે કંઈ કમાઈયે છીએ તે કોના માટે છે? બાળકો માટેજ વળી!” સાચી વાત, પણ બાળક ના ઘડતર ને કમાણી સાથે કોઈ સંબંધ નથી; એને તો સમય જોઈએ. સાચા શિક્ષણ ની શરૂઆત બાળક સાથે સમય વિતાવવા થી જ થાય છે – સાથે રમવું, હસતા રમતા જોવા, એને ભૂલ કરવા દેવી, કરેલી ભૂલો માં થી શીખવા દેવું, આસપાસ ના વિશ્વ ની સમજ આપવી, વાર્તાઓ કરવી, સંસ્કારો નું સિંચન કરવું એ પૈસા કમાવા કરતા પણ વધારે અગત્ય નું (અને કદાચ વધારે અઘરું પણ) છે. બાળકો મોટા થઇ જાય પછી એમ કહેવું “છોકરાઓ ક્યાં મોટા થઇ ગયા એ ખબર જ ન પડી!” એ કઈ ગર્વ લેવા જેવી વાત નથી.

ગિજુભાઈ બધેકા ની આ કૃતિ એ મને પણ એવી પ્રતીતિ કરાવી કે તમારા બાળક સાથે સમય વિતાવવો એ તેમને પ્રેમ કરવાની એક એવી રીત છે જેનાથી સંબંધ ના તાંતણા મજબુત બને છે અને બાળક નો આત્મ-વિશ્વાસ પણ! તેમની કહેલી અને મારા સુધી પહોંચેલી આ વાત હું યાદ રાખીશ. મારી સાત વર્ષ ની દીકરી અને આઠ મહિના નો દીકરો તેમના કલરવ થી ઘર ને એવી રીતે મલકતું રાખે છે જેમ એક ઝાડ ને તેમાં કલરવ કરતા પક્ષીઓ.

તો જો ઘર માં નાનું બાળક હોય તો ગિજુભાઈ કહે છે તેમ “તારા બાળક સાથે રમ” અને જો ઘર માં નાનું બાળક ન પણ હોય તો કદાચ એવું કહી શકાય કે “તારી અંદર રહેલા અને જીવતા એવા બાળક સાથે રમ.”

તન્મય વોરા – લખ્યા તા: 17-May-2013

વિચારો નું ફાઈન ટ્યુનિંગ

Fine Tuning

Photo Courtesy: Jonathan Freese Flickr Gallery

છેલ્લાં કેટલાંક વર્ષો થી શહેરો તરફ ની દોટ વધી ગઈ છે. ધંધા રોજગાર ના ક્ષેત્રે હરીફાઈ પણ વધી છે. તેની સાથે સાથે આર્થિક  સામાજિક પ્રશ્નો જટિલ બનતા ગયા છે. દરેક નવી સવારે માણસ સમક્ષ નવા પડકારો ઉભા થતા હોય છે તો પડતર પ્રશ્નોમાં ના કેટલાક હજુ પણ ઉકેલવા ના બાકી રહી જતા હોય છે. નાણાં ના રોકાણ થી માંડી ને સંતાનો ના સગાઇ-લગ્ન જેવા કેટલાય પ્રશ્નો સામે આવે ત્યારે વિકલ્પો ઘણા હોય છે. આવા પ્રશ્નો ના ઉકેલ શોધતી વખતે માણસ દિમાગ નો ઉપયોગ કરતો હોય છે અને  ગણતરીઓ  કરે છે, જે કદાચ હંમેશા સાચી પડે તેવું બનતું નથી. રસ્તે ચાલતા કોઈ ભિક્ષુક આપણી પાસે જયારે યાચના કરે ત્યારે દિમાગ ના પાડે છે પણ દિલ તો ઇચ્છતું હોય છે કે પાંચ-દસ રૂપિયા તો આપવા જોઈએ! અને જો કઈ પણ ના બની શકે તો કઈ બોલ્યા વિના હળવે થી માફી લઇ લેવી જોઈએ!

એવું કહેવાયું છે કે સારું પુસ્તક એક દોસ્ત ની જેમ ક્યારેય દગો આપતું નથી, તે પ્રમાણે વિચારો ના દ્વંધ વખતે તો કોઈ સારું પુસ્તક હાથ માં આવી જાય તો બેડો પર થઇ જાય એવું બની શકે છે. પ્રેરણાત્મક સાહિત્ય ના પ્રકાશન નું બજાર ધમધમતું જોવા મળે છે અને આવા પ્રકાશનો  નું કરોડો નું ટર્ન-ઓવર થતું હોય છે.આ અતિ વિશાળ ફલક ધરાવતા વિષય માં હવે પ્રેમ લગ્ન અને સંબંધો ના વ્યવસ્થાપન અને જાળવણી નો ઉમેરો થયો છે અને સમાધાન લક્ષી સલાહ-સૂચનાઓ આપવામાં આવતા હોય છે. દુનિયા ના કુલ 103 જેટલા ગુરુઓ ના અવતરણો નું સંકલન  – “The Treasure – Essence from World’s Greatest Motivational and Self-Help Gurus” શ્રી યોગેશ ચોલેરા એ કર્યું છે તેની નોંધ લેવા જેવી છે, અને એક અસરકારક પુસ્તક બન્યું છે.

બાળવાર્તાઓ અને કહેવતો પેઢી દર પેઢી આપણાં જીવન માં વણાયેલી રહી છે અને રહેશે. આપણી આજુ બાજુ ના વિશ્વ ને માણવા ની પ્રક્રિયા માં એ આપણ ને સહાયરૂપ થતી હોય છે. ફાધર ઝેવિયર્સ નું આવું જ પુસ્તક “101 Inspiring Stories: Principles for Successful Living” માણવા અને જાણવા જેવું છે. પ્રશ્નો ના જવાબો ના ત્રિભેટે ઉભી ને માણસ  કેવી રીતે સાચા સમાધાન પર આવી શકે છે તે ખુબજ અસરકારક રીતે વાર્તા સ્વરૂપે રજુ કરાયેલ છે. તેમાં ની એક વાર્તા નો ભાવાર્થ નીચે રજુ કરું છું.

એક છુટક વેપારી ની દુકાન સામે ડીપાર્ટમેન્ટલ સ્ટોર થાય છે અને વેપારી મુશ્કેલી માં આવી જાય છે. ધંધો ઠપ્પ થઇ જશે એવા ડર થી એ દુકાન બંધ કરવાનો નિર્ણય કરતા પહેલા પોતાના ગુરુ પાસે માર્ગદર્શન માટે પહોંચે છે. ગુરુ તેને કહે છે, “બીજાઓ નો ડર તમારા મન માં ઘૃણા પેદા કરે છે અને ઘૃણા કરે તેનું પતન જલ્દી થાય. દરરોજ સવારે તારી દુકાન ને ખોલતા પહેલા તેને સમૃદ્ધિ ના આશીર્વાદ આપજે અને પછી સામે વાળા સ્ટોર ને પણ એવા જ આશીર્વાદ આપજે કારણ કે જેટલા આશીર્વાદ તું પેલા સ્ટોર ને આપીશ એથી બમણા આશીર્વાદ તને અને તારી દુકાન ને મળશે.” વેપારી એ આવું કર્યું અને દિવસો જતા આ વેપારી અને પેલા સ્ટોર ના માલિક મિત્રો બની ગયા અને આગળ જતા આ વેપારી ને સ્ટોર માં  પાર્ટનર બનાવી લેવાયો. વેપારી એ ઘણા વર્ષો સુધી આ સ્ટોર ને કુશળતા થી ચલાવ્યો જેથી કરી ને સ્ટોર ના માલિકે પોતાના બધાજ હક્ક વેપારી ને વહેંચી આપ્યા.

જગત માં દરેક તત્વો એક બીજા સાથે ગૂંથાયેલા હોય છે એ વૈજ્ઞાનિક સત્ય ને સ્વીકારવું રહ્યું. અદેખાઈ થાય એ સંજોગો માં સામે ની વ્યક્તિ માટે શુભ વિચારો કરવા, એ એક એવી શક્તિ છે કે જે પડઘા ની જેમ આપણા તરફ આવી ને આપણને મદદ કરી જાય એવું બની શકે છે.જયારે એક સમયે અનેક વિચારો આવી જતા હોય છે, ત્યારે આપણે આત્મા ના અવાજ ને સંભાળવો જરૂરી બને છે.

એટલે જ ઋગ્વેદ 1-89-1 માં કહ્યું છે તેમ “आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:” અર્થાત્ “દરેક દિશાઓ માં થી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.”  મારી દ્રષ્ટિ એ પૂર્વ શરત એ છે કે આપણે પણ શુભ અને સારા વિચારો વહેતા મુકીએ.

આજ થી વર્ષો પહેલા મોટા એન્ટેના ધરાવતા ટી.વી. હતા – એમાં અવાજ કે ચિત્ર સ્પષ્ટ ન આવતા ત્યારે આપણે એન્ટેના ને થોડું અમથું ફેરવી ને ફાઈન ટ્યુનિંગ કરતા. તેવીજ રીતે અવાજો હોય કે  વિચારો હોય, થોડું ફાઈન ટ્યુનિંગ કરવા થી રાહ સ્પષ્ટ થાય અને જીવન મંગલમય બને!

– – – – –

લેખક: નયનેશ વોરા, લખ્યા તા: 24-એપ્રિલ-2013

કાગળ ઉપર

kagalupar

જીવિત જન્મ ના દાખલા થી મોત ના પ્રમાણ સુધી
જિંદગી આખી ટિંગાય છે માણસ કાગળ ઉપર

મરોડદાર અક્ષરો કહેવાય છે પ્રતિબિંબ માણસ નું
પગ થી માથા સુધી વંચાય છે માણસ કાગળ ઉપર

અસત્યો અનેક ફેલાયેલા છે માણસ ની આસપાસ
લાગે છે સત્ય જાણે ફંટાય છે માણસ કાગળ ઉપર

બે ચાર છુટા છવાયા મકાનો હોય છે નકશા ઉપર
આલીશાન નગર કલ્પાય છે માણસ કાગળ ઉપર

બોલ્યું બધું મિથ્યા છે એ સમજો હવે તો સારું
લખેલું હોય તે વંચાય છે માણસ કાગળ ઉપર

માન-મરતબો , મિલ્કત, બેંક-બેલેન્સ જિંદગી સુધી
કેવી હતી શોહરત અંકાય છે માણસ કાગળ ઉપર.

– – – – –

નયનેશ વોરા લખ્યા તા:11-02-2002, મોરબી ખાતે

– – – – –

શબ્દપ્રીત નો સ-રસ પરિચય વાંચકો ને આપવા બદલ webgurjari.in નો આભાર.