Monthly Archives: April 2013

વિચારો નું ફાઈન ટ્યુનિંગ

Fine Tuning

Photo Courtesy: Jonathan Freese Flickr Gallery

છેલ્લાં કેટલાંક વર્ષો થી શહેરો તરફ ની દોટ વધી ગઈ છે. ધંધા રોજગાર ના ક્ષેત્રે હરીફાઈ પણ વધી છે. તેની સાથે સાથે આર્થિક  સામાજિક પ્રશ્નો જટિલ બનતા ગયા છે. દરેક નવી સવારે માણસ સમક્ષ નવા પડકારો ઉભા થતા હોય છે તો પડતર પ્રશ્નોમાં ના કેટલાક હજુ પણ ઉકેલવા ના બાકી રહી જતા હોય છે. નાણાં ના રોકાણ થી માંડી ને સંતાનો ના સગાઇ-લગ્ન જેવા કેટલાય પ્રશ્નો સામે આવે ત્યારે વિકલ્પો ઘણા હોય છે. આવા પ્રશ્નો ના ઉકેલ શોધતી વખતે માણસ દિમાગ નો ઉપયોગ કરતો હોય છે અને  ગણતરીઓ  કરે છે, જે કદાચ હંમેશા સાચી પડે તેવું બનતું નથી. રસ્તે ચાલતા કોઈ ભિક્ષુક આપણી પાસે જયારે યાચના કરે ત્યારે દિમાગ ના પાડે છે પણ દિલ તો ઇચ્છતું હોય છે કે પાંચ-દસ રૂપિયા તો આપવા જોઈએ! અને જો કઈ પણ ના બની શકે તો કઈ બોલ્યા વિના હળવે થી માફી લઇ લેવી જોઈએ!

એવું કહેવાયું છે કે સારું પુસ્તક એક દોસ્ત ની જેમ ક્યારેય દગો આપતું નથી, તે પ્રમાણે વિચારો ના દ્વંધ વખતે તો કોઈ સારું પુસ્તક હાથ માં આવી જાય તો બેડો પર થઇ જાય એવું બની શકે છે. પ્રેરણાત્મક સાહિત્ય ના પ્રકાશન નું બજાર ધમધમતું જોવા મળે છે અને આવા પ્રકાશનો  નું કરોડો નું ટર્ન-ઓવર થતું હોય છે.આ અતિ વિશાળ ફલક ધરાવતા વિષય માં હવે પ્રેમ લગ્ન અને સંબંધો ના વ્યવસ્થાપન અને જાળવણી નો ઉમેરો થયો છે અને સમાધાન લક્ષી સલાહ-સૂચનાઓ આપવામાં આવતા હોય છે. દુનિયા ના કુલ 103 જેટલા ગુરુઓ ના અવતરણો નું સંકલન  – “The Treasure – Essence from World’s Greatest Motivational and Self-Help Gurus” શ્રી યોગેશ ચોલેરા એ કર્યું છે તેની નોંધ લેવા જેવી છે, અને એક અસરકારક પુસ્તક બન્યું છે.

બાળવાર્તાઓ અને કહેવતો પેઢી દર પેઢી આપણાં જીવન માં વણાયેલી રહી છે અને રહેશે. આપણી આજુ બાજુ ના વિશ્વ ને માણવા ની પ્રક્રિયા માં એ આપણ ને સહાયરૂપ થતી હોય છે. ફાધર ઝેવિયર્સ નું આવું જ પુસ્તક “101 Inspiring Stories: Principles for Successful Living” માણવા અને જાણવા જેવું છે. પ્રશ્નો ના જવાબો ના ત્રિભેટે ઉભી ને માણસ  કેવી રીતે સાચા સમાધાન પર આવી શકે છે તે ખુબજ અસરકારક રીતે વાર્તા સ્વરૂપે રજુ કરાયેલ છે. તેમાં ની એક વાર્તા નો ભાવાર્થ નીચે રજુ કરું છું.

એક છુટક વેપારી ની દુકાન સામે ડીપાર્ટમેન્ટલ સ્ટોર થાય છે અને વેપારી મુશ્કેલી માં આવી જાય છે. ધંધો ઠપ્પ થઇ જશે એવા ડર થી એ દુકાન બંધ કરવાનો નિર્ણય કરતા પહેલા પોતાના ગુરુ પાસે માર્ગદર્શન માટે પહોંચે છે. ગુરુ તેને કહે છે, “બીજાઓ નો ડર તમારા મન માં ઘૃણા પેદા કરે છે અને ઘૃણા કરે તેનું પતન જલ્દી થાય. દરરોજ સવારે તારી દુકાન ને ખોલતા પહેલા તેને સમૃદ્ધિ ના આશીર્વાદ આપજે અને પછી સામે વાળા સ્ટોર ને પણ એવા જ આશીર્વાદ આપજે કારણ કે જેટલા આશીર્વાદ તું પેલા સ્ટોર ને આપીશ એથી બમણા આશીર્વાદ તને અને તારી દુકાન ને મળશે.” વેપારી એ આવું કર્યું અને દિવસો જતા આ વેપારી અને પેલા સ્ટોર ના માલિક મિત્રો બની ગયા અને આગળ જતા આ વેપારી ને સ્ટોર માં  પાર્ટનર બનાવી લેવાયો. વેપારી એ ઘણા વર્ષો સુધી આ સ્ટોર ને કુશળતા થી ચલાવ્યો જેથી કરી ને સ્ટોર ના માલિકે પોતાના બધાજ હક્ક વેપારી ને વહેંચી આપ્યા.

જગત માં દરેક તત્વો એક બીજા સાથે ગૂંથાયેલા હોય છે એ વૈજ્ઞાનિક સત્ય ને સ્વીકારવું રહ્યું. અદેખાઈ થાય એ સંજોગો માં સામે ની વ્યક્તિ માટે શુભ વિચારો કરવા, એ એક એવી શક્તિ છે કે જે પડઘા ની જેમ આપણા તરફ આવી ને આપણને મદદ કરી જાય એવું બની શકે છે.જયારે એક સમયે અનેક વિચારો આવી જતા હોય છે, ત્યારે આપણે આત્મા ના અવાજ ને સંભાળવો જરૂરી બને છે.

એટલે જ ઋગ્વેદ 1-89-1 માં કહ્યું છે તેમ “आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:” અર્થાત્ “દરેક દિશાઓ માં થી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.”  મારી દ્રષ્ટિ એ પૂર્વ શરત એ છે કે આપણે પણ શુભ અને સારા વિચારો વહેતા મુકીએ.

આજ થી વર્ષો પહેલા મોટા એન્ટેના ધરાવતા ટી.વી. હતા – એમાં અવાજ કે ચિત્ર સ્પષ્ટ ન આવતા ત્યારે આપણે એન્ટેના ને થોડું અમથું ફેરવી ને ફાઈન ટ્યુનિંગ કરતા. તેવીજ રીતે અવાજો હોય કે  વિચારો હોય, થોડું ફાઈન ટ્યુનિંગ કરવા થી રાહ સ્પષ્ટ થાય અને જીવન મંગલમય બને!

– – – – –

લેખક: નયનેશ વોરા, લખ્યા તા: 24-એપ્રિલ-2013

કાગળ ઉપર

kagalupar

જીવિત જન્મ ના દાખલા થી મોત ના પ્રમાણ સુધી
જિંદગી આખી ટિંગાય છે માણસ કાગળ ઉપર

મરોડદાર અક્ષરો કહેવાય છે પ્રતિબિંબ માણસ નું
પગ થી માથા સુધી વંચાય છે માણસ કાગળ ઉપર

અસત્યો અનેક ફેલાયેલા છે માણસ ની આસપાસ
લાગે છે સત્ય જાણે ફંટાય છે માણસ કાગળ ઉપર

બે ચાર છુટા છવાયા મકાનો હોય છે નકશા ઉપર
આલીશાન નગર કલ્પાય છે માણસ કાગળ ઉપર

બોલ્યું બધું મિથ્યા છે એ સમજો હવે તો સારું
લખેલું હોય તે વંચાય છે માણસ કાગળ ઉપર

માન-મરતબો , મિલ્કત, બેંક-બેલેન્સ જિંદગી સુધી
કેવી હતી શોહરત અંકાય છે માણસ કાગળ ઉપર.

– – – – –

નયનેશ વોરા લખ્યા તા:11-02-2002, મોરબી ખાતે

– – – – –

શબ્દપ્રીત નો સ-રસ પરિચય વાંચકો ને આપવા બદલ webgurjari.in નો આભાર.

બંધ બારણાં – કોઈ આવશે તો? – નયનેશ વોરા

” મેં  તો  ચાહત નાં  દ્વારને
                           વાસ્યાં  હતાં;
એ તો  ચાલ્યાં  ગયા 
                          બંધ  જોઇને!    
 
ઘણી વાર  આપણે  એવું થતું  અનુભવ્યું હશે કે, કોઈ દોસ્ત ની  બહુજ યાદ આવી જાય અને એને મળીને ગપશપ કરવાનું મન થયું હોય તો ક્યારેક મુશ્કેલી ના  સમયમાં દિમાગને હળવું કરવાની અદમ્ય ઈચ્છા થઇ જતી હોય છે. આપણે  એ દોસ્તને ઘરે જઈએ  છીએ, અને ડોરબેલ ને  આપણી  આંગળીયોના  સ્પર્શનો અભાવ  રહી જતો  મહેસુસ  કર્યો હોય – કારણ કે બંધ દ્વાર ઉપર  એક તાળું લટકતું જોયેલું  હોય. એવું પણ બની શકે કે, ત્યારે આપણે  એકદમ  નિરાશ  થઇ જતા હોઈએ છીએ. યાદ ઉભરા જેવી હોય છે , દૂધ ગરમ કરીએ અને ઉભરો આવે કે સોડા બોટલ નું ઢાંકણું ખુલતા જ સોડા માં ઉભરો આવે તેમ યાદ ઉભરો બની જાય અને પછી આવે તે હોય છે વાસ્તવિકતા…આપણે જે રીતે વિચારતા હોઈએ તે રીતે દરેક સામે ની વ્યક્તિ વિચારતી હોય એ જરૂરી નથી હોતું.
 
તાજેતર માં છાપાઓ માં વાંચેલું યાદ આવ્યું કે તમિલનાડુ રાજ્ય માં એક ગામ એવું છે કે જ્યાં મકાનો માં બારણાં રાખવા ની પ્રથા જ નથી. એવું માનવા માં આવે છે કે અહીં દૈવી શક્તિ ની એવી આણ છે કે રક્ષા માટે બારણાઓ ની જરૂર પડતી નથી, એટલે ચોરી પણ થતી નથી. અહીં વાત શ્રધ્ધા ની છે – શ્રદ્ધા નું નામ હોઈ શકે?
 
કવિ એટલેજ કહે છે કે ખુદા ને પામવા નું નામ જ શ્રદ્ધા! આજે બધું જ બદલાઈ ગયું છે; અલગતાવાદે બારણાં ની આવશ્યકતા ઉભી કરી કે બારણાં ઓ એ અલગાવવાદ નો પાયો નાખ્યો એ કહી શકાતું નથી.  વિકાસ ની સાથે સાથે આપણું મન માત્ર પોતાના જ વિચાર કરવા લાગ્યું અને હૃદય માં પણ બારણાં ઓ પડી જતાં જોયાં.. !
 
એક મિત્ર ને કાર્યક્રમ ના સંચાલન દરમ્યાન એવું કહેતા સાંભળ્યા કે, શહેર ના ટ્રાફિક સિગ્નલ પર રસ્તો ખુલવા માટે રિવર્સ કાઉન્ટ શરુ થાય તે દરમ્યાન ભિખારી ને જોઈ ને આપણે કાર ના કાચ ચડાવી દઈએ છીએ.. ખરો પ્રશ્ન એ છે કે આપણે કેમ નથી વિચારતા કે જયારે આપણે મંદિર માં  જઈએ છીએ ત્યારે ભગવાન આવા કોઈ કાચ ચડાવે તો? આનો જવાબ ના હોય છે કારણ કે એ ભગવાન છે અને આપણે માણસ છીએ. મહત્વ ની વાત એ છે કે સામે ના માણસ ની પરિસ્થિતિ માં મુકાઇ ને જો વિચારવા માં આવે તો કદાચ આપણે આવું કરતા અટકીએ.  કોઈ આવે ત્યારે કાચ ચડાવીએ નહી અને અડધો કાચ પણ સાવ જ ઉતારી નાખીએ. વિચારવા ની તસ્દી જ ન લેવા ને કારણે વાદ-વિવાદ ઉભા થતા હોય છે. કુદરત ને બચાવવાના નારા ઓ ની જરૂર નથી; ખરેખર તો માણસ ના મનને પ્રદુષણ થી બચાવવા માટે ના slogans ની હવે જરુરીયાત ઉભી થઇ છે.
 
પૃથ્વી વિષે જો એવું slogan હોય કે “Our mother earth, let us care and share” તો પછી આપણા મન વિષે એવું કહી શકાય , “Mind is our father. Let us think and think again.”
 
          રાહોં પે નઝર રખના
                  હોઠોં પે દુવા રખના
          આ જાયે કોઈ શાયદ
               દરવાજા ખુલા રખના।
 
માણસ ને જરૂર એટલી જ છે કે એને ક્યારેય બંધ દ્વાર નો સંકોચ ના રહેવો જોઈએ!
 
નયનેશ વોરા – લખ્યા તા: 09-માર્ચ -2006

સંપૂર્ણ રીતે અપૂર્ણ

મનુષ્ય હોવું એટલે જ અપૂર્ણ હોવું. દેખાતો સંપૂર્ણ માણસ એક ભ્રમ છે. સત્ય એ છે કે આપણી અપૂર્ણતાઓ પુરાવો છે આપણા મનુષ્ય હોવાનો . 
તમે ક્યારેય નાના બાળક ને જોયું છે? 
શું તે જન્મ થી જ સંપૂર્ણ હોય છે? તેને કેટલું તો નથી આવડતું હોતું. પણ છતાં ખુબ વહાલું લાગે છે, કેમ કે આપણે એ નાના બાળક ને સાચા અને ખોટા, સારા અને ખરાબ ના ત્રાજવા માં નથી તોળતા. એ જે છે તેનો જ સ્વીકાર કરીએ છીએ. 
ફૂલ આપણને એટલે જ ગમે છે કારણ કે તે આપણને ખુશ કરવાની કોઈ પેરવી નથી કરતા. તે પોતાના માં મસ્ત છે અને પોતાની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર કરી ને જીવે છે – ખરે છે.

શ્રેષ્ઠ અવાજ ધરાવતા પક્ષીઓ જ ગાતા હોત તો વન માં કેટલી ભયાનક શાંતિ હોત? દરેક પક્ષી ગાય છે, કેમ કે દરેક પક્ષી પાસે એક ગીત છે અને દરેક પક્ષી ની એક અલગ શૈલી છે. પરોઢ થતા ની સાથે આ પક્ષીઓ પોતાના કલરવ થી જયારે આપણ ને જગાડે છે ત્યારે આપણે એ કલરવ ને મુલવતાં નથી – બસ, એને માણીએ છીએ. 

પણ જયારે બીજા માણસ ની વાત આવે ત્યારે જીવન ભર આપણે તેમની પાસે થી સંપૂર્ણ થવા ની અપેક્ષાઓ રાખીએ છીએ. જયારે આપણે ખુદ જેવા ઇચ્છીએ છીએ એવા નથી બની શકતા તો બીજાઓ આપણે ઈચ્છીએ એવા કેવી રીતે બને? બીજાઓ ને તો ઠીક પણ આપણે આપણા બાળકો ને પણ કંઇક ‘બનાવવા’ માંગીએ છીએ અને એ જે ‘છે’ એને જોવાનું ચુકી જતાં હોઈએ છીએ. 
સત્ય એ જ છે:દરેક મનુષ્ય સંપૂર્ણ રીતે અપૂર્ણ છે અને જ્યાં સુધી આપણે બીજો ની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર નહિ કરીએ ત્યાં સુધી આપણે કોઈ ને પણ સાચા દિલ થી ક્યારેય ચાહી નહીં શકીએ .  
તન્મય વોરા – લખ્યા તા: 19/04/2013